પાર્કિંગ તેમજ અન્ય આધુનિક સુવિધાઓની દ્રષ્ટીએ આ ભવ્ય સમારંભનું સ્થળ લીલાપોર કોસ્ટલ હાય-વે ચાર રસ્તા રાખવામાં આવ્યું હતું. આ મંગલમય મહોત્સવમાં જુદા જુદા ગામના કુલ ૨૧ નવયુગલોએ ઉત્સાહભેર હિસ્સો લીધો હતો. આ તમામ ૨૧ યુગલોની એકસાથે પવિત્ર લગ્ન વિધિ સંપન્ન કરાવવા માટે એક વિશાળ અને ભવ્ય લગ્ન મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે જ સ્થળ પર જ વિશાળ ભોજન ખંડ તૈયાર કરી તમામ સગા-વહાલાંઓ અને મિત્રવર્તુળ માટે ઉત્કૃષ્ટ ભોજનની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભવ્ય મંડપની મધ્યમાં મંચ પર બિરાજમાન થઈને પાંચ શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા સવારે ૯:૦૦ વાગ્યે સમૂહમાં વિધિવત ગ્રહશાંતિ પૂજનની શરૂઆત કરવામાં આવી હતી, જે દ્રશ્ય અત્યંત આલ્હાદક અને આધ્યાત્મિક હતું. દરેક નવયુગલ માટે અલગ-અલગ સુશોભિત માયરા મંડપની વ્યવસ્થા કરાઈ હતી, જ્યાં બધાએ પોતાના પરિવારજનો સાથે આનંદપૂર્વક વિધિ પૂર્ણ કરી હતી.
બપોરે અંદાજે ૩:૦૦ વાગ્યે ૧ કિલોમીટર દૂરથી તમામ વરરાજાઓની ભવ્ય સામૂહિક જાનયાત્રા (વરઘોડો) નીકળી હતી. ડી.જે. ના તાલે ઝૂમતા જાનૈયાઓ જ્યારે મંડપે પધાર્યા ત્યારે ફટાકડાની આતશબાજી સાથે કન્યાઓએ હાર પહેરાવી વરરાજાઓનું સ્વાગત કર્યું હતું. એકીસાથે ૨૧ શણગારેલી ગાડીઓમાં જ્યારે જાનનું પ્રસ્થાન થયું, ત્યારે સમગ્ર પંથકમાં એક અનેરો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે સમાજના પ્રમુખ અને ધારાસભ્યશ્રી ભરતભાઈ તેમજ અન્ય હોદ્દેદારોએ પ્રત્યેક માયરામાં રૂબરૂ જઈને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. વિદાય વેળાએ ઉત્સાહી યુગલોએ આ ઓછા ખર્ચાળ અને ભવ્ય આયોજન બદલ મંડળનો હૃદયપૂર્વક આભાર માની, આગામી વર્ષોમાં પણ આવા પ્રેરણાદાયી સમૂહ લગ્નો યોજાતા રહે તેવી મંગલ ભાવના વ્યક્ત કરી હતી.